ગૌતમ ગંભીરે એ ફરી વિવાદ કરાવ્યો! આ વખતે યુવરાજ ના જન્મ દિવસ પર એવુ કીધુ કે
પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ગંભીરે યુવરાજ સિંહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ખુલીને બોલવા માટે જાણીતા છે. ઘણીવાર તે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે ઘણી વખત ઈશારામાં એવી વાતો કહેવામાં આવે છે જે ચાહકોને પસંદ નથી આવતી. ગંભીર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને આ વખતે દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહના જન્મદિવસ પર અભિનંદન સંદેશને કારણે વિવાદોમાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો 12 ડિસેમ્બરે જન્મદિવસ છે. આ ખાસ દિવસે ગંભીરે તેને પોતાની એક તસવીર સાથે અભિનંદન પાઠવ્યા હતા. ગંભીરે લખેલા મેસેજને કારણે હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં, યુવરાજને તેના જન્મદિવસ પર અભિનંદન આપતા, ભૂતપૂર્વ ઓપનરે લખ્યું હતું કે, “ભારતે અત્યાર સુધી જોયેલા શ્રેષ્ઠ મર્યાદિત ઓવરના ખેલાડીને જન્મદિવસની શુભેચ્છા.”
સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને એમએસ ધોનીના ફેન્સને આ મેસેજ પસંદ આવ્યો ન હતો અને લોકોએ ગંભીરને ટ્રોલ કર્યો હતો. તમામ ટ્રોફી સાથે વિરાટની તસવીર શેર કરતા એક યુઝરે લખ્યું કે, “મને લિમિટેડ ઓવર્સના ફોર્મેટના સૌથી મોટા ખેલાડીની ખૂબ જ ઈર્ષ્યા થાય છે.” એક યુઝરે લખ્યું, મને સમજાતું નથી કે આ વ્યક્તિ વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની માટે દિલમાં આટલી ઈર્ષ્યા સાથે કેવી રીતે જીવે છે. મેં મારા આખા જીવનમાં આવું કોઈ જોયું નથી.
આ પહેલા ગંભીરે 2011ના વનડે વર્લ્ડ કપની જીત વિશે કહ્યું હતું કે આ જીત કોઈ એક ખેલાડીની નહીં પરંતુ આખી ટીમની છે. ટીમના દરેક ખેલાડીએ તેને જીતવા માટે સખત મહેનત કરી હતી. આમાં તેનો સંદર્ભ ધોની તરફ હતો, જે ટીમના કેપ્ટન હતા.